ચંદીગઢઃ આતંકિયોના નિશાન પર હવે દેશના IAS અને IPS ઓફિસરો હોવાની વાત સામે આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 6 જુલાઇના રોજ એલર્ટ જાહેર કર્યું છે. મળતી માહિતી મુજબ અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સીનિયર IAS અને IPS ઓફિસરો પર હુમલો કરવાની તૈયારીમાં છે.
ગુપ્તચર એજન્સિ પાસેથી મળતી માહિતી મુજબ અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના ચીફ મૌલાના અસીમ ઉમરે ભારતીય મુસ્લિમોને સમજાવીને જેહાદ વિરૂદ્ધ તૈયાર કર્યા છે. કેન્દ્રિય ગુપ્તચર એજન્સિઓએ આ અંગે પુષ્ટિ કરી છે કે અસીમે ભારતીય મુસ્લિમોને એવું કહ્યું છે કે સિનિયર IAS અને IPS ઓફિસરોને મારીને તે જેહાદ કરી શકે છે.
દિલ્હી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ તમામ ઓફિસરોની સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. સાથે જ તેમની સાથે જોડાયેલા સ્ટાફની પણ સુરક્ષા વધારવામાં આવી છે. આ સાથે જ તમામ પોલીસ સ્ટેશન કે જ્યાં સીનિયર ઓફિસરોની ઓફિસ છે ત્યાં અને જ્યાં ઓફિસરો રહે છે ત્યાં તમામ જગ્યાએ સુરક્ષા વધારવામાં આવી છે.