ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, એવામાં તમામ પક્ષો ઉમેદવારોને પોતાના તરફ ખેંચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પાટીદારોને પોતાની તરફ ખેંચવા માટે દરેક પક્ષ પ્રયત્ન કરી રહ્યો છે. જો કે ગુજરાતની ચૂંટણીમાં પાટીદારો શા માટે આટલું મહત્વ ધરાવે છે, તે આપણે જાણીએ.
2015માં ચરમસીમાએ પહોંચેલું પાટીદાર અનામત આંદોલન ભલે હાલમાં સુષુપ્ત અવસ્થામાં હોય, પરંતુ તેના કારણે ગુજરાતના રાજકારણમાં તમામ પક્ષે સમીકરણો બદલાઈ ગયા છે. આ બદલાયેલા સમીકરણોની આવનારી ચૂંટણીમાં પડનારી અસરને કોઈ નકારી શકે તેમ નથી. અનામત માટે લાખોની સંખ્યામાં લડી રહેલા પાટીદારોનું ગુજરાતમાં સારુ એવું પ્રભુત્વ છે અને ગુજરાતના કેટલાય ગામો અને જિલ્લાઓમાં પાટીદારોનું પ્રભુત્વ છે. ગુજરાતમાં 46 બેઠકો પર પાટીદારો પ્રભુત્વ ધરાવે છે, જ્યારે 105 બેઠક એવી છે જ્યાં પાટીદારો સમીકરણ બદલી શકે છે. એ રીતે જોતાં પાટીદાર મતદારો દરેક પક્ષ માટે નિર્ણાયક બની રહે છે.
ગુજરાતમાં કઈ બેઠકો પર કેટલા ટકા પાટીદારોનું પ્રભુત્વ છે તે જાણો
બેઠક પાટીદાર મતદારોની સંખ્યા
ઘાટલોડિયા 26 %
ઠક્કરબાપાનગર 26.57 %
સાબરમતી 24 %
ઉંઝા 39.59 %
વિસનગર 31 %
બેચરાજી 27 %
મહેસાણા 21 %
વિજાપુર 37 %
મોરબી 27 %
ટંકારા 28 %
રાજકોટ ઈસ્ટ 28 %
રાજકોટ સાઉથ 28 %
રાજકોટ રૂરલ 30 %
જસદણ 28 %
ગોડંલ 28 %
જેતપુર 29 %
ધોરાજી 22 %
ધારી 25 %
અમરેલી 28 %
લાઠી 27 %
સાવરકુંડલા 30 %
રાજુલા 35 %
જામનગર રૂરલ 20 %
જામનગર નોર્થ 22 %
માણસા 24 %
જામજોધપુર, માણાવદર, જુનાગઢ, વિસાવદર, સયાજીગંજ, બોટાદ, ઓલપાડ, મજુરા, લુણાવાડા, આણંદ સહિતની બેઠકો એવી છે જ્યાં પણ પાટીદાર મતદારોનું પ્રભૂત્વ છે. આ બેઠકો ઉપરાંત 105 બેઠકો એવી છે જ્યાં પાટીદારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આવા સંજોગોમાં હાર્દિક પટેલનો કોંગ્રેસ તરફનો ઢોળાણ ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે..
ગુજરાતમાં કોઈ પણ સંજોગોમાં ભાજપ પોતાની સત્તા ગુમાવવા તૈયાર થાય તેમ નથી. આવા સંજોગોમાં હાર્દિકનું પાટીદારોમાં વર્ચસ્વ હોવાના કારણે ભાજપની પાટીદાર વોટ બેંકમાં થોડું ઘણું પણ ગાબડું પાડી શકે છે. જો કે આગામી ચૂંટમી બાદ મુખ્યમંત્રી તરીકે પાટીદારને રાખવા કે અન્ય કોઈને તે મુદ્દે પણ ભાજપને ફટકો પડી શકે છે. વર્ષ 2000માં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ પાટીદારોમાં નારાજગી હતી, પરંતુ એ નારાજગી દૂર કરવામાં નરેન્દ્ર મોદીને સફળતા મળી હતી. પરંતુ હાલના સંજોગોમાં નરેન્દ્ર મોદી અહીં નથી. આ તમામ પાસાઓ જોતાં વર્તમાન ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જેથી પાટીદારોને મનાવવા માટે તમામ પક્ષો કામે લાગ્યા છે.